અમદાવાદ
ઇસનપુરમાં છેલ્લા કેટલાક સમયથી જીમખાનાની આડમાં જુગારધામ ચાલતું હતું. જેમાં અલગ અલગ એજન્સીના અધિકારીઓને કોર્ટના નામે ડરાવતાં હોવાની વાતો પણ વહેતી થઈ હતી. રવિવારે રાત્રે પીસીબીની ટીમે દરોડા કરીને 31 લોકો સામે ગુનો નોંધી ધરપકડ કરી. જ્યારે મુખ્ય ભેજાબાજ વોન્ટેડ છે. આ સમગ્ર જુગારના રેકેટમાં જીમખાનાના નામે મજૂરી હતી, પરંતુ અહીંયા જુગાર રમતો હોવાની શક્યતાએ પોલીસે દરોડા કરીને 12 લાખ રોકડ પણ જપ્ત કરી હતી. જ્યારે જુગારનાં રેકેટમાં કેટલાક પોલીસકર્મીઓ સામેલ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. હવે સમગ્ર કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી.
જુગારધામમાં અનેક પોલીસકર્મીઓ શંકાના દાયરામાં , પગલા ભરાય તેવી શક્યતા .
પીસીબીની ટીમને બાતમી મળી હતી કે, ઇસનપુર જીમખાના પ્રાઇવેટ લિમિટેડ ક્લબની અંદર જુગારધામ ચાલી રહ્યો છે. આ જુગારધામ ઇસનપુરનો અરવિંદ ઉસ્તાદ દલાલ તેમજ નરોડાનો મુળરાજસિંહ ઉર્ફે મુળુભા રાણા અને નિતીન ભેગા મળીને ચલાવી રહ્યા છે.બાતમીના આધારે પીસીબીની ટીમ તાત્કાલિક જીમખાના પર પહોંચી ગઇ હતી. જ્યાં જુગાર રમતા 31 શખસની ધરપકડ કરી હતી.
ક્રાઇમ બ્રાન્ચની ટીમ આ ક્બલની આડમાં ચાલતા જુગારધામ પર તપાસ કરશે .
પીસીબીએ ક્લબમાંથી 12.67 લાખ રોક્ડા, 1.57 લાખની કિંમતના 29 ફોન, 2.40 લાખના 4 વાહન, 484 ગંજી પાનાની કેટો, 92 નંબર ટોકન કોઇન સહિત કુલ 16.64 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યાં દરોડા દરમિયાન માસ્ટર માઇન્ડ અરવિંદ ઉર્ફે ઉસ્તાદ દલાલ તેમજ મુળરાજસિંહ ઉર્ફે મુળુભા રાણાને વોન્ટેડ જાહેર કરાયો હતો. ઉલ્લેખનીય છે કે જુગારધામ પાછળ એક પોલીસ કર્મચારી માસ્ટર માઇન્ડ હોવાની પણ શંકા છે. પીસીબીએ પાડેલા દરોડા બાદ ઇસનપુર પોલીસ સ્ટેશનની કામગીરી ઉપર પણ સવાલ ઉભા થયા. આવનારા દિવસોમાં ઇસનપુર પોલીસ સ્ટેશનના પોલીસ પીઆઈ વિરુદ્ધ ખાતાકીય તપાસ થાય તેવી શક્યતા છે.પોલીસ કર્મચારીની સંડોવણી સહિતના અનેક મુદ્દાઓ પણ જુગારધામની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી.જ્યારે આ ક્લબ પાછળ એજન્સીના તેમજ સ્થાનિક કેટલાક પોલીસકર્મીઓ અને એક પીએસઆઇ શંકાના ઘેરામાં હોવાની વાતો સામે આવતા કડક પગલા ભરાય તેવી શક્યતા છે.