અમદાવાદ શહેર.
સરદારનગરમાં રાજાવીર સર્કલ પાસે હોમગાર્ડ જવાને વાહન પાર્ક કરવા બાબતે વેપારીને લાકડીથી માર માર્યો હતો. તેમજ હોમગાર્ડ જવાને પણ વેપારીને વાહન સાઇડમાં પાર્ક કરવાનું કહેતા મારામારી કરી હતી તેવી ફરિયાદ નોધાવી છે. આ અંગે સરદારનગર પોલીસે ક્રોસ ફરિયાદ નોધીને તપાસ શરૂ કરી છે.
હોમગાર્ડ જવાન એ વેપારી સાથે ઝપાઝપી કરી હોવાનું સામે આવ્યુ.
કુબેરનગરમાં રહેતા ઢાલુમલ કલ્યાણી રાજાવીર સર્કલ પાસે પેટીસ હાઉસની દુકાન ધરાવી ધંધો કરે છે. ગત 3 મેના દિવસે સાંજના સમયે તેઓ ટુ-વ્હીકલ લઇને ચા લેવા ગયા હતા. ત્યાં કારની આગળ તેમને ટુ-વ્હીકલ પાર્ક કર્યુ હતુ.
તે સમયે કારચાલક હોર્ન વગાડીને ટુ-વ્હીકલ લેવાનું કહેતા ઢાલુમલે બે મિનિટમાં લઉ છું કહેતા કારચાલકે ઉશ્કેરાઇને કારમાંથી લાકડી લઇને ઢાલુમલભાઇને ફટકાર્યા હતા. તે સમયે આસપાસના લોકોએ તેમને છોડાવ્યા હતા. જે બાદ કારચાલક ત્યાંથી નાસી ગયો હતો. જે બાદ તપાસ કરતા કારચાલક અમરીશપુરી ગોસ્વામી હોમગાર્ડમાં ફરજ બજાવતો હોવાનું સામે આવ્યુ હતુ.
બીજી તરફ હોમગાર્ડ જવાને પણ ઢાલુમલને ટુ-વ્હીકલ સાઇડમાં મુકવાનું કહેતા ઉશ્કેરાઇને મારામારી કરવા લાગ્યા હતા તેવી ફરિયાદ નોધાવી છે. આ અંગે સરદારનગર પોલીસે બંને પક્ષોની ક્રોસ ફરિયાદ નોધીને તપાસ શરૂ કરી છે.