વિજિલન્સ તપાસમાં ઢીલાશ: AMCમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓ વિરુદ્ધ વિજિલન્સની 1523 ફરિયાદ, સૌથી વધુ એસ્ટેટ વિભાગની ફરિયાદ..

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા અધિકારીઓ દ્વારા કરવામાં આવતી કામગીરીમાં બેદરકારી અને ભ્રષ્ટાચાર સહિતની તપાસો માટે વિજિલન્સ તપાસ સોંપવામાં આવે છે. છેલ્લા ચાર વર્ષમાં વિવિધ અધિકારીઓ અને કર્મચારીઓ વિરુદ્ધ કુલ 1523 જેટલી વિજિલન્સ તપાસની ફરિયાદો મળી છે. જેમાં સૌથી વધારે 957 જેટલી એસ્ટેટ વિભાગની ફરિયાદો સામે આવી છે. જોકે, વિજિલન્સ વિભાગ દ્વારા આવા અધિકારીઓ વિરુદ્ધ તપાસમાં જાણી જોઈને વિલંબ કરવામાં આવે છે.
અધિકારીઓ અને કર્મચારીઓ વિરુદ્ધ તપાસની ફરિયાદ મળી.
વિજિલન્સ વિભાગ અધિકારીઓ સાથે ગોઠવણ કરીને તપાસ ઢીલી કરી બચાવ કરવામાં આવતો હોવાનું પણ જાણવા મળ્યું છે. જે પણ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ વિરુદ્ધ તપાસની ફરિયાદ મળી હોય તો તેવા અધિકારીઓ/કર્મચારીઓની ઝડપી તપાસ કરી તેમજ જો કસૂરવાર હોય તેઓને સસ્પેન્ડ કરવા અથવા ડીસમીસ કરવા જેવા કડક પગલાં લઇ દાખલો બેસાડવો જોઈએ. જેથી ભવિષ્યમાં કોઇ અધિકારી કામમાં ગેરરીતી કે ભ્રષ્ટાચાર ન કરવામાં આવે.
“એસ્ટેટ અને ટીડીઓમાં 957 તથા ઇજનેર વિભાગમાં 40 ફરિયાદ’
મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વર્ષ 2021-22થી 2024-25 (15 ફેબ્રુઆરી સુધી)માં 1523 જેટલી ફરિયાદો વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની વિજિલન્સ વિભાગને મળી છે. જેમાં સૌથી વધારે એસ્ટેટ અને ટીડીઓ માં 957 તથા ઇજનેર વિભાગમાં 40 ફરિયાદ છે. આ બંને ખાતામાં વધુ પ્રમાણમાં ભષ્ટ્રાચાર જોવા મળે છે. એસ્ટેટ અને ટીડીઓ વિભાગનાં અધિકારીઓ દ્વારા ગેરકાયદેસર બાંધકામો કરતાં તેઓને છાવરવામાં આવે છે. ઈજનેર ખાતામાં કોઇ પણ કામોમાં ટેન્ડરોમાં કોન્ટ્રાકટરો દ્વારા રીંગ બનાવીને કામો વહેંચી લેવામાં આવે છે.તેના કારણે મોટા ભાગના ટેન્ડરો માં તંત્ર દ્વારા ટેન્ડરની અંદાજીત રકમ નક્કી કરવામાં મોટી રમત રમવામાં આવે છે. તેના કારણે ટેન્ડરો 30 થી 40 ટકા ઉંચા ભાવે આવે છે તેમાં પણ કોન્ટ્રાકટર અને અધિકારીની વચ્ચે મેળાપીપણામાં નક્કી થયા મુજબ કામમાં ગેરરીતી આચરવામાં આવે છે જેથી ભષ્ટ્રાચાર કરીને કામ થાય છે જેના કારણે પ્રજાને હાલાકી નો સામનો કરવો પડે છે.