સુરતમાં મીઠી નિંદર માણી રહેલા શ્રમિકો પર ડમ્પર ફરી વળતા 14 લોકોના મોત.

સુરતના કિમ ચાર રસ્તા નજીક આવેલા કીમ-માંડવી રોડ ઉપર બેકાબુ બનેલા ડમ્પરચાલકે ફૂટપાથ પર સૂતેલા 14 શ્રમિકોને કચડી નાંખ્યાં છે. સુરત માટે મંગળનો દિવસ અમંગળ બનીને આવ્યો છે. સુરતમાં ફરી એકવાર ગોઝારો અકસ્માત સર્જાયો છે. જેમાં આખો દિવસ કામ કરીને થાકેલા મજૂરો પર કાળમુખી ડમ્પર ફરી વળ્યો હતો. મોડી રાત્રે બનેલી આ ઘટના કમકમાટી લાવે તેવી છે. આખો દિવસ મજુરી કરી રાત્રે કીમ-માંડવી સ્ટેટ હાઈવેને અડીને આવેલી ગટર પર મીઠી નિંદર માળી રહેલા શ્રમિકો પર ડમ્પર ફરી વળતા 14 લોકોના મોત નિપજ્યા છે.

જ્યારે કે, કેટલાક ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા હતા.
બનાવની જાણ થતાં જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે ઘસી ગયો હતો. તેમજ ડેડબોડીને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડી હતી. બીજી તરફ પોલીસે ડમ્પર ચાલક અને ક્લિનરની ધરપકડ કરી છે.મળતી વિગત મુજબ, કીમથી માંડવી તરફ જતાં રસ્તામાં પાલોદ ગામ આવ્યું છે. આ ગામની સીમમાં રસ્તાના કિનારે શ્રમિકો પરિવાર સાથે ફૂટપાથ પર રહે છે. મૂળ બાસવાડાના કુશલગઢના વતની અને છુટક મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા પાંચથી છ પરિવારો છેલ્લાં પાંચ વર્ષથી પાલોદ પાસે રહે છે. દરમિયાન સોમવારે મોડી રાત્રે 12 વાગ્યાની આસપાસ કીમથી માંડવી તરફ જ જઈ રહેલા GJ-X-0901 નંબરના ડમ્પર ચાલકે કીમ ચાર રસ્તા તરફ જતાં શેરડી ભરેલા ટ્રેક્ટરને ટક્કર મારી હતી.ટ્રેક્ટરને ટક્કર માર્યા બાદ ડમ્પર ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા ડમ્પર રસ્તાના કિનારે આવેલા પુટપાથ પર ચઢી જતાં સૂતેલા શ્રમિકોને કચડી નાંખ્યા હતા. ભર નિંદર માણી રહેલા શ્રમિક પરિવારો પર ડમ્પર ચઢી જતાં 14ના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતી. જ્યારે અન્ય ગંભીર હાલતમાં સ્મીમર હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં રાકેશ રૂપચંજ નામના ઈસમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.